વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ૨૫ ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા પધારનાર છે ત્યારે બે કાર્યક્રમ સ્થળોએ કલાકારો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રંગ જમાવશે. કુલ પાંચ કલાકાર ગ્રુપના ૭૨ કલાકારો વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરશે. રેસકોર્સ મેદાન ખાતે યોજાનારા મુખ્ય સ્ટેજ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કલાકારશ્રી ગીતાબેન રબારી અને કલાવૃંદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.
એઈમ્સ હોસ્પિટલ ખાતે જુદા જુદા ૪ ગ્રૂપના ૬૪ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ- નૃત્ય રજૂ કરશે. નટરાજ ગ્રુપના ૧૦ કલાકારો ઢોલ, છત્રી, શરણાઈ સાથે પ્રધાનમંત્રીશ્રીનું ઉત્સાહભેર સ્વાગત કરશે. તાંડવ નૃત્ય એકેડમીના ૧૮ કલાકારો માંડવડી સાથે વિશિષ્ટ નૃત્ય રજૂ કરશે. શ્રી શક્તિ વૃંદના ૧૮ કલાકારો દાંડિયા, રંગબેરંગી છત્રીઓ, રૂમાલ સાથે રાસ રજૂ કરશે. લાસ્ય નર્તન એકેડમીના ૧૮ કલાકારો ટીપ્પણી અને ઘડા સાથે રાસ અને ગરબા રજૂ કરશે.
તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ સંસ્થા દ્વારા જી – ૨૦ તેમજ સોમનાથ, દ્વારિકા, અંબાજી જેવા કાર્યક્રમોમાં ભરતનાટ્યમ નૃત્ય, લોક નૃત્ય તેમજ ગરબાની રજૂઆત ગુજરાત તેમજ દેશ વિદેશમાં કરવામાં આવેેલ છે. જયારે લાસ્ય નર્તન ઇન્સ્ટિટયૂટ ઓફ ક્લાસના કલાકારોના સેમિ ક્લાસિકલ અને લોક નૃત્ય તેમજ ગુજરાતના ગરબા અનેક નામાંકિત ફેસ્ટિવલમાં પ્રસ્તુત થઈ ચૂક્યા છે.
શ્રી શક્તિ વૃંદ, ગુજરાતના પ્રાચીન અને અર્વાચીન ગરબા ક્ષેત્રેનું ઉભરતું નામછે, જેમના કલાકારોએ ઉદયપુર શિલ્પગ્રામ ફેસ્ટિવલ અને જયપુર જવાહર કેન્દ્રમાં ગુજરાતના ગરબા પ્રસ્તુત કરેલ છે.
આ તમામ પ્રસિદ્ધ કલાવૃંદો રાજકોટના આંગણે પધારીને વડાપ્રધાનશ્રીના હસ્તે રાજકોટના આંગણે થનાર વિકાસ કાર્યોના કાર્યક્રમને શોભાવશે.