સુપ્રીમ કોર્ટે મંગળવારે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને ફટકાર લગાવી છે. કોર્ટે ભ્રામક દાવાઓ અને જાહેરાતો પ્રકાશિત કરવા સામે કડક ચેતવણી આપી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ભ્રામક જાહેરાતો વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. IMAએ અનેક જાહેરાતોને ટાંકી હતી.
સુપ્રીમ કોર્ટે મંગળવારે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને કડક ચેતવણી આપી છે. આ ચેતવણી આધુનિક દવા પ્રણાલી વિરુદ્ધ ભ્રામક દાવાઓ અને જાહેરાતો પ્રકાશિત કરવા બદલ આપવામાં આવી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ભ્રામક જાહેરાતો વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે યોગ ગુરુ રામદેવની કંપની પતંજલિ આયુર્વેદને વિવિધ રોગો અંગેની તેની દવાઓ વિશેની જાહેરાતોમાં “ખોટા” અને “ભ્રામક” દાવા કરવા સામે ચેતવણી આપી છે.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ની અરજી પર સુનાવણી કરતી વખતે મૌખિક ટિપ્પણીમાં જણાવ્યું હતું કે, પતંજલિ આયુર્વેદની આવી તમામ ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવી જોઈએ. કોર્ટ આવા કોઈપણ ઉલ્લંઘનને ગંભીરતાથી લેશે…”
સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલય અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને IMAની અરજી પર નોટિસ પાઠવી હતી જેમાં રામદેવ પર રસીકરણ અભિયાન અને આધુનિક દવાઓ વિરુદ્ધ અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો.
ટૂંકી સુનાવણી દરમિયાન બેન્ચે પતંજલિ આયુર્વેદને દવાની આધુનિક પદ્ધતિઓ વિરુદ્ધ ભ્રામક દાવાઓ અને જાહેરાતો પ્રકાશિત ન કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું કે જો કોઈ ચોક્કસ રોગનો ઈલાજ થઈ શકે એવો ખોટો દાવો કરવામાં આવે તો બેન્ચ દરેક પ્રોડક્ટ પર રૂ.1 કરોડનો દંડ લાદવાનું પણ વિચારી શકે છે.