મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રીના હસ્તે રાજ્યકક્ષાની ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ સ્પર્ધાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના સ્વપ્નને સાકાર કરતી ગુજરાતની આગવી પહેલ ગણાવી હતી. તેમણે ચારિત્ર્યસંપન્ન યુવાનોના નિર્માણને આજના સમયની જરૂરિયાત હોવાનું જણાવી સંસ્કૃતિના મજબૂત પાયા પર ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’ નું નિર્માણ કરવા સૌને આહવાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ની પ્રથમ તબક્કાની કૉલેજ સ્પર્ધાનું આયોજન જાન્યુઆરી માસમાં કરવામાં આવેલું, જેમાં 603 કૉલેજોમાંથી 5500 કરતાં વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ની રાજયકક્ષા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનાર વિદ્યાર્થીને ₹1,00,000નો પુરસ્કાર અને ‘બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઑફ ગુજરાત’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.