Gujarat: મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ આવતીકાલે યોજાશે

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી 26 નવેમ્બર, 2023 (રવિવાર)ના રોજ ખાસ ઝૂંબેશ દિવસ યોજાશે.

મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત 26 નવેમ્બર, 2023ના રોજ રાજ્યભરના તમામ મતદાન મથકો પર સવારે 10.00 થી સાંજે 05.00 વાગ્યા દરમિયાન મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકાશે. સાથે જ મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા અને મતદારયાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે.

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતી દ્વારા રાજ્યના તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા તથા પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા જાહેર અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *