ભારત-શ્રીલંકા મેચ પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યિં છે. સચિન તેંડુલકર વાનખેડે સ્ટેડિયમમાં જ છેલ્લી મેચ રમ્યો હતો.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 2 નવેમ્બરના રોજ ભારત અને શ્રીલંકા વચ્ચે મહત્વની મેચ છે. આ મેચના એક દિવસ પહેલા જ ક્રિકેટના ભગવાન એવા સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ)એ વાનખેડેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રતિમા સચિનના જીવનના 50 વર્ષને સમર્પિત
સચિન તેંડુલકરની પ્રતિમાનો આ ઉદ્ઘાટન કાર્યક્રમ એક દિવસ પહેલા એટલે કે બુધવારે (1 ઓક્ટોબર) સાંજના સમયે કરવામાં આવ્યો હતો. સ્ટેડિયમમાં સચિન તેંડુલકર સ્ટેન્ડ પાસે સચિનની પ્રતિમા સ્થાપિત કરાઈ. આ પ્રતિમા તેમના જીવનના 50 વર્ષને સમર્પિત છે. આ વર્ષે એપ્રિલ મહિનમાં સચિને પોતાનો 50 મો જન્મદિવસની ઉજવણી કરી હતી.
અહીં રમી હતી છેલ્લી મેચ
સચિને તેમની છેલ્લી મેચ આ મેદાન પર આંતરરાષ્ટ્રીય મેચ એટલે કે 200મી ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. જે મેચમાં સચિને 74 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ એક ઈનિંગ અને 126 રનથી જીતી લીધી હતી. આ સ્ટેડિયમ સચિન માટે પણ ખાસ છે, કારણ કે અહીં જ ભારતીય ટીમે પોતાનો બીજો વર્લ્ડ કપ જીત્યો હતો. 2011ના વન-ડે વર્લ્ડકપની ફાઈનલ વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ હતી. તે મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો અને સચિન તેંડુલકરનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન પણ પૂર્ણ થયું હતું.