હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના, સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

રાજકોટ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ પ્રમાણે વાત કરીએ તો તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ તથા કચ્છ જિલ્લામાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગર્જના સાથે વરસાદની સંભાવના છે. જ્યારે તારીખ 29 સપ્ટેમ્બરના રોજ હળવાથી મધ્યમ વરસાદ/ગર્જના સાથે વરસાદની સંભાવના છે. તારીખ ૩૦ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધી શુષ્ક હવામાનની સંભાવના રહેશે તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

જૂનાગઢના ગિરનાર જંગલ અને પર્વત પર 6 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે. ગિરનાર જંગલમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. દામોદર કુંડમાં ઘોડાપૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. છેલ્લા કલાકથી વરસાદ અવિરત પડી રહ્યો છે.

ગુજરાતમાં આજે શુક્રવારને 27મી સપ્ટેમ્બરના રોજ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના 12 કલાકમાં 149 તાલુકામાં એક મિલીમીટરથી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના સાગબારામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ તો જૂનાગઢમાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે દિવસ દરમિયાન અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, વલસાડ, ખેડા, બનાસકાંઠા, બોટાદ, નર્મદા, સુરત, અમરેલી, તાપી, છોટા ઉદેપુર, ભરૂચ, પોરબંદર, ભાવનગર, ડાંગ, દાહોદ, નવસારી, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી જિલ્લામાં વરસાદ નોંધાયો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે રાજ્યમાં હજી પણ વરસાદ રહી શકે છે. ગ્રહોની સ્થિતિ જોતા શુક્ર ગ્રહ તેના ભ્રમણના લીધે રાજ્યમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં 25 થી 28 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર પણ ચોમાસાના નક્ષત્ર છે, તેથી વરસાદ આવશે. નવરાત્રિમાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. 

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ રહી શકે છે. 27 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. અંબાલાલ પટેલે ખતરાના સંકેત આપતા કહ્યું કે, 10 ઓક્ટોબરે બંગાળાના ઉપસગારના વાવાઝોડાની શક્યતા છે. તો 16 નવેમ્બરથી બંગાળાના ઉપસાગરમા હળવું દબાણ ઉભું થતા 18 નવેમ્બરથી ડિસેમ્બર સુધી ભારે ચક્રવાત ઉભું થશે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લે તે અગાઉ ભારે વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૨૯-૨૭ સપ્ટેમ્બરના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવ સંભાવના નહિવત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *