દેશની વિકાસયાત્રાને અવિરત આગળ વધારી રહેલા ગુજરાતના પનોતાપુત્ર અને દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટવાસીઓ સહિત દેશવાસીઓને રૂ. ૪૮૦૦૦ કરોડ થી વધુ વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા રાજકોટનાં આંગણે પધાર્યા છે, ત્યારે મુખ્ય કાર્યક્રમ સ્થળે સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા મનમોહક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.
કચ્છી કોયલ તરીકે સુપ્રસિદ્ધ થયેલા ગાયક કલાકારશ્રી ગીતાબેન રબારીએ પોતાના સુરીલા કોકીલ કંઠે સુરો રેલાવ્યા હતા. વડાપ્રધાનશ્રીના હસ્તે આજે દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે દ્વારકાધીશનું સૌપ્રથમ સ્મરણ કરતાં “દ્વારિકાનો નાથ….., ‘શિવ તાંડવ સ્ત્રોત્રમ’, ‘ઘેર જવું ગમતું નથી…’, સહિતની રચનાઓ પ્રસ્તુત કરી હતી.
વડાપ્રધાનશ્રીના હસ્તે તાજેતરમાં જ રામમંદિર અયોધ્યાની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા થઈ છે ત્યારે ‘તાળી પાડો તો મારા રામની…’, ‘કાના રહી ન શકું તમ વિના…’, ‘મનુષ્ય તું બડા મહાન હૈ… સહિતના ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતાં ભાતીગળ ગીતો રજૂ કરતાં ઉપસ્થિત સર્વે સભાજનો ભક્તિરસમાં તરબોળ થઈ ગયા હતા.
આ કાર્યક્રમમાં અશોકભાઈ બારોટે લોકગીતો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી રાજકોટની જનતાને ડોલાવી હતી.