કમોસમી વરસાદને કારણે પાકો ઉપર સંભવિત અસરો અને તેના ઉપાયો

રાજકોટ જિલ્લામાં ૨૫ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે હળવાથી મધ્યમ તથા છુટાછવાયા જગ્યાએ કમોસમી વરસાદ થયેલ છે. જેના કારણે તાજેતરમાં વાવણી/રોપણી કરેલ પાકો તથા ઉભા પાકોમાં થવા પાત્ર સંભવિત અસરો અને તેના બચાવ માટેના ઉપાયો નીચે મુજબ છે.


કેળમાં વાનસ્પતિક/ફળના વિકાસની અવસ્થામાં વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે જેના ઉપાય તરીકે ફળવાળા છોડને લાકડાં અથવા વાંસ વડે યાંત્રિક ટેકો અપાવવો તથા પિયત આપવાનું હાલ પુરતું ટાળવું. કપાસમાં જીંડવાનો વિકાસ/ જીંડવા ખુલવા વરસાદના કારણે કપાસનું રૂ ભીનું થવાના કારણે રૂની ગુણવત્તા ઉપર અસર થઈ શકે છે તેના ઉપાયરૂપ રૂની વહેલી તકે વીણી કરી લેવી. ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી અને પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઇએ. તમાકુમાં વનસ્પતિ/ફૂલની અવસ્થામાં વરસાદના કારણે તમાકુના પાંદડાની ગુણવત્તા ઉપર અસર થઈ શકે જેના માટે ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી, પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઇએ.


તુવેરમાં ફૂલ /શીંગોનો વિકાસની અવસ્થામાં વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે શીંગ માખીનો ઉપદ્રવ થઈ શકે છે તેના નિવારણ માટે હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની એમામેક્ટીન બેન્ઝોએટ ૪ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી દવાનો છંટકાવ કરવો, ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી, પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઇએ. બટાકામાં રોપણી/ઉગાવો અવસ્થામાં તાજેતરમાં રોપણી કરેલ પાકના ઉગાવા ઉપર અસર થઈ શકે જેના ઉપાય તરીકે ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી, પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઇએ. ચણાના પાકમાં વાવણી ઉગાવો/ વાનસ્પતિક અવસ્થામાં તાજેતરમાં વાવણી કરેલ પાકના ઉગાવવા ઉપર અસર થઈ શકે તેમજ અગોતરા વાવણી કરેલ પાકમાં લીલી ઇથળ નો ઉપદ્રવ થઈ શકે જેના ઉપાય તરીકે ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરી, પિયત આપવાનું હાલ પૂરતું ટાળી, ખેતરમાં હેક્ટર દીઠ ૨૦ ફેરોમોન ટ્રેપ ગોઠવવા જોઇએ.


દિવેલા પાકમાં વાનસ્પતિક/ફૂલ/માળ/બાંધવાની અવસ્થામાં હાલમાં વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે પાકમાં લશ્કરી અને ઘોડિયા ઈયળનો ઉપદ્રવ થઈ શકે છે. તેથી હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની એમામેક્ટીન બેન્ઝોએટ ૪ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવીને આ દવાનો પાકમાં છંટકાવ કરવો જોઈએ. ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી, અને પાકમાં પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ. શાકભાજી પાકોમા ફળ/ફૂલની અવસ્થામાં ફુલ કે ફળનું ખરણ થઈ શકે છે, અને રોગ જીવાતમાં ચુસીયા કે કોકડાવાનો ઉપદ્રવ થઈ શકે છે. વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે છે. તેથી પરિપકવ બની ગયેલા શાકભાજીના ફળો વહેલી તકે વીણી કરીને બજારમાં વેચાણ માટે મોકલવા અને પાકને પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ.
ફળવાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો. હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની સ્પીનોસાડ ૩ મી.લી/૧૦ લીટર પાણીમાં ભેળવીને આ દવાનો છંટકાવ કરવો જોઈએ.


પપૈયાના પાકમાં ફૂલ/ફળની અવસ્થામાં ફુલ કે ફળનું ખરણ થઈ શકે છે. વધારે પવન સાથે વરસાદના કારણે છોડ નમી શકે છે. તેથી પરિપકવ થઈ ગયેલા પપૈયાના ફળો વહેલી તકે વીણી કરીને બજારમાં વેચાણ માટે મોકલવા. પાકમાં પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું જોઈએ અને ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી જોઈએ તેમજ ફળવાળા છોડને લાકડા અથવા વાંસ વડે યાંત્રિક ટેકો આપવો જોઈએ.


ઘઉં પાકમાં વાવણી/ઉગાવોની અવસ્થામાં હાલમાં બીજના ઉગાવા ઉપર અસર થઈ શકે છે. તેથી ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી અને પાકની વાવણી હાલ પુરતી મુલતવી રાખવી જોઈએ. જીરું/ વરીયાળી/ ધાણામા વાવણી/ઉગાવોની અવસ્થામાં હાલમાં બીજના ઉગાવા ઉપર અસર થઇ શકે છે. તેથી પાકમાં પિયત આપવાનું હાલ પૂરતું ટાળવું, અને ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી તેમજ પાકની વાવણી હાલ પુરતી મુલતવી રાખવી જોઈએ.


રાઈના પાકમાં વાનસ્પતિક અવસ્થામાં વાદળછાયા અને ભેજવાળા હવામાનને કારણે રોગ-જીવાતનો ઉપદ્રવ થઇ શકે છે ત્યારે તેના નિવારણ માટે હવામાન ખુલ્લું થયા બાદ ભલામણ મુજબની દવાનો છંટકાવ કરી, પિયત આપવાનું હાલ પૂરતું ટાળી, ખેતરમાં વરસાદના વધારાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવી જોઇએ. આ ઉપરાંત કાપણી /લણણી કરેલ ખુલ્લા રાખેલ પાકોની ખેત પેદાશોની ગુણવત્તામાં અસર થઇ શકે છે જે રોક્વા માટે કાપણી /લણણી કરેલ પાકોની ખેત પેદાશોને સલામત જગ્યાએ મુકી તેને તાડપત્રી વડે ઢાંકીને રાખવી જોઇએ.


આ અંગે વધુ જાણકારી માટે ખેડૂતમિત્રોને પોતાના સંબંધિત વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *