વરસાદી પાણીના એક એક ટીંપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ છે. વરસાદી પાણીનો વ્યય અટકાવી તેનો જળસંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ્ યોજના કાર્યરત છે. વિધાનસભામાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ રૂ.1933.55લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં વર્ષ 2022માં રૂ.793.13લાખ અને વર્ષ 2023માં રૂ. 1140.42 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવો ઉંડા કરવામાં આવે છે. 31-12-2023 સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અરવલ્લી જિલ્લામાં 274 પંચાયતોના 402 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 75 પંચાયતોના 81 તળાવો ઉંડા કરવામાં આવ્યા. જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ 483 તળાવો ઉંડા કરવામાં આવ્યા છે.