ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના ઉપયોગ તથા અન્ય હેતુ માટે કુવા ખોદવામાં આવે છે અને અનાયાસે આ કુવા ફેઈલ થઈ જતાં તે બંધ કર્યા સિવાય જે-તે અવસ્થામાં ખુલ્લા છોડી દેવામાં આવે છે. ત્યાર બાદ ક્યારેક આવા કુવા કોઈનો ભોગ લે છે કે કોઈ દુર્ઘટના સર્જાઈ છે. જેને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે બોર-કુવા ખુલ્લા છોડી દિધા તો આવી બનશે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બોર-કુવા અંગે રાજકોટ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ચેતન ગાંધી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
બોર-કુવામાં પડી જવાથી બાળકોના મૃત્યુ થવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે આવા ગંભીર માનવ જીંદગી જોખમાવતા બનાવો બનતા અટકાવવા ઈચ્છનીય છે. વર્તમાન પરિસ્થિતિને લક્ષ્યમાં લઈને જાહેર શાંતિ અને સુલેહ જાળવવા તથા માનવ જીંદગી જોખમાતી બચાવવા પગલા લેવા જરૂરી છે. જેથી કોઈપણ પ્રકારની સુલેહ-શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી તથા કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે, તે માટે રાજકોટ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ચેતન ગાંધી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વિગતવાર વાત કરીએ તો રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ખેતીના ઉપયોગ તથા અન્ય હેતુ માટે કુવા ખોદવામાં આવે છે અને અનાયાસે આ કુવા ફેઈલ થઈ જતાં તે બંધ કર્યા સિવાય જે-તે અવસ્થામાં ખુલ્લા છોડી દેવામાં આવે છે, તેવા કુવા જે-તે માલિકોએ તાત્કાલીક અસરથી પુરાણ કરીને બંધ કરી દેવાના રહેશે. જે બોર હાલ બિનજરૂરી (બિનવપરાશ) હોય પરંતુ ભવિષ્યમાં તેનો ઉપયોગ કરવાનો હોય, તેવા ખુલ્લા રાખેલા બોરને અકસ્માત થતો અટકાવવા બોરકેપ નટ-બોલ્ટ સહિત ફરજીયાત લગાવી ઢાંકી દેવાના રહેશે. દરેક ખાતેદારે ખેતી હેતુ માટે ઉપયોગમાં લેવાતા તમામ કુવાની ફરતે પાકી દિવાલ બનાવી લેવાની રહેશે.
આ હુકમ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ સિવાયના વિસ્તારમાં તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર ઠરશે.