તાજેતરમાં લેબનોનમાં પેજર્સ અને વોકી-ટોકીના વિસ્ફોટો બાદ ફાટી નીકળેલા વિવાદ બાદ વિશ્વની નજર મધ્ય પૂર્વ પર કેન્દ્રિત છે. પેજર અને વોકી-ટોકી વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા. લેબનોનમાં સક્રિય હિઝબુલ્લાએ વિસ્ફોટ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. જોકે, ઈઝરાયેલે આ મામલે સત્તાવાર રીતે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.
અમેરિકન ન્યૂઝ એજન્સી રોઇટર્સના રિપોર્ટ અનુસાર, વોકી-ટોકીની બેટરી પર અત્યંત વિસ્ફોટક PETN લગાવવામાં આવ્યું હતું. લેબનીઝના એક સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે બેટરી પેકમાં જે રીતે વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી તેના કારણે તેને શોધવાનું અત્યંત મુશ્કેલ બન્યું હતું. PETN અથવા pentaerythritol tetranitrate, એક અત્યંત શક્તિશાળી વિસ્ફોટક પદાર્થ છે. તે આંચકા અને ગરમી પ્રત્યે સંવેદનશીલ છે, જો ઈરાદાપૂર્વક ટ્રિગર કરવામાં આવે તો વિસ્ફોટનું જોખમ ઊભું કરે છે.
હિઝબુલ્લાહે યુદ્ધની જાહેરાત કરી
ગુરુવાર 19 સપ્ટેમ્બરના રોજ હિઝબુલ્લાના વડા નસરાલ્લાહે ઇઝરાયેલ સામે યુદ્ધની જાહેરાત કરી હતી. નસરાલ્લાહે કહ્યું કે પેજર અને વોકી ટોકી હુમલા પાછળ ઈઝરાયેલની સેનાનો હાથ હતો. શુક્રવાર 20 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયેલ અને હિઝબુલ્લાહે એકબીજા પર બોમ્બમારો કર્યો હતો. ઇઝરાયેલની સેનાએ કહ્યું છે કે તેની વાયુસેનાએ લેબનોનની રાજધાની બેરૂત પર ટારગેટ હુમલા કર્યા છે. IDFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લેબનોનથી ઉત્તરી ઇઝરાયેલ પર 140 રોકેટ છોડવામાં આવ્યા હતા. એર ડિફેન્સ સિસ્ટમ્સે 120 રોકેટનો નાશ કર્યો હતો.
લેબેનાનમાં મંગળવારે પેજરમાં થયેલા વિસ્ફોટ બાદ હવે વોકી-ટોકીમાં પણ વિસ્ફોટ થયો છે. અલજઝીરા પ્રમાણે આ હુમલામાં અત્યારસુધીમાં 14 લોકોનાં મોત થયાં છે, જ્યારે 450થી વધું લોકો ઘાયલ થયા છે. રાજધાની બૈરૂતના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટની માહિતી સામે આવી છે.
આમાંથી એક વિસ્ફોટ હિઝબુલ્લાહ સાંસદ અલી અમ્મરના પુત્રના અંતિમસંસ્કાર દરમિયાન થયો હતો. 17 સપ્ટેમ્બરે પેજરમાં થયેલા બ્લાસ્ટમાં તેનું મોત થયું હતું. લેબેનાનમાં હિઝબુલ્લાહ લડવૈયાઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે આ વોકી-ટોકીનો ઉપયોગ કરે છે.
આ વોકી ટોકીનું નામ ICOM V 82 છે, જે જાપાનમાં બનેલ છે. મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે લેબેનાનમાં આ બીજો મોટો ટેક્નોલોજીકલ હુમલો છે. આ પહેલા બ્રિટિશ ન્યૂઝ એજન્સી રોઈટર્સે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, ઈઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે હિઝબુલ્લાહના 5000 પેજરમાં વિસ્ફોટકો લગાવ્યા હતા.
આ પેજર્સ કોડની મદદથી કામ કરે છે. એને આ વર્ષની શરૂઆતમાં લેબેનાન મોકલવામાં આવ્યાં હતાં. મંગળવારે, આ પેજર્સ પર એક સંદેશ આવ્યો જેણે વિસ્ફોટક સક્રિય કર્યું. આ હુમલામાં 12 લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં હિઝબુલ્લાહના 8 સભ્ય અને 2 બાળકનો સમાવેશ થાય છે. આ હુમલામાં 3000થી વધુ ઘાયલ થયા છે, જેમાં લેબેનાનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે.