રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે રાજકીય પક્ષો તથા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચના રેટ ચાર્ટ તેમજ આચારસંહિતાના પાલન અંગેની મિટિંગ યોજવામાં આવી હતી.
આ મિટિંગમાં ચૂંટણીમાં થતા વિવિધ પ્રકારના ખર્ચના ભાવો અંગે ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવી હતી. અને વિવિધ વસ્તુઓના ભાવોમાં ફેરફાર કરવા અંગે રાજકીય પક્ષો, ઉમેદવારોના સૂચનો માંગવામાં આવ્યા હતા.
આ સાથે રાજકીય પક્ષો તથા ઉમેદવારો માટે લોકસભાની ચૂંટણી આદર્શ આચાર સહિતના પાલનમાં કઈ કઈ બાબતોનો ખ્યાલ રાખવો તેની વિગતો અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી. એન.કે.મુછારે આપી હતી. ઉમેદવારો તથા રાજકીય પક્ષોએ કરવાના ખર્ચ, રાજકીય પ્રચાર માટે સભા યોજવાની પરવાનગી લેવી, એક્સપેન્ડિચર ઓફિસર સમક્ષ ખર્ચની વિગતો રજૂ કરવી સહિતની બાબતો અંગે રાજકીય પક્ષના પ્રતિનિધિઓને સમજ અપાઇ હતી.
આ સાથે ચૂંટણી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાના અમલ તથા વિવિધ ફરિયાદોના નિકાલ માટે ગોઠવાયેલી અસરકારક વ્યવસ્થાની સમજ પણ આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ.નવનાથ ગવ્હાણે, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી કે.એમ.ખપેડ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, ચૂંટણી ફરજ સાથે જોડાયેલા વિવિધ અધિકારીઓ, વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.