સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે રાજકોટમાં આપેલા વક્તવ્યની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા જણાવ્યું હતુ કે, રાજકોટને સારી રીતે સમજી ગયા છે, મુખ્ય ન્યાયાધીશ.. ગુજરાતીમાં બોલવાનો, અને લોકો સાથે જોડાવાનો તેમનો પ્રયાસ સરાહનીય છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડ શનિવારે રાજકોટની અદાલતના નવા સંકુલનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા ત્યારે તેમણે પોતાના ઉદ્દબોધનમાં ગુજરાતી બોલવાનો પ્રયાસ કર્યો હતો અને રાજકોટના, ગુજરાતીઓના વખાણ કર્યા હતા. આ ઉદ્દબોધનનો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પોસ્ટ પર શેર કર્યો છે અને લખ્યું છે કે, આપણી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા છે! ગુજરાતીમાં બોલવાનો તેમનો પ્રયાસ સરાહનીય છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં 110 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રાજકોટ કોર્ટના નવા બિલ્ડિંગનું સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડે લોકાર્પણ કર્યું હતું. આ પ્રાસંગિક પ્રવચનમાં મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડે ‘જય શ્રીકૃષ્ણ, કેમ છો, મજામાં છો ને’ બોલીને શરૂ કરી હતી.